વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના અપુલિયામાં G7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ તમામની નજર બંને નેતાઓની મુલાકાત પર ટકેલી હતી, પીએમ મોદીને મળ્યા બાદ ટ્રુડોએ સંબંધો સુધારવાની વાત કરી હતી, પરંતુ કેનેડાની સંસદમાંથી અલગ જ તસવીર સામે આવી છે.
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર માટે કેનેડાની સંસદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં, પ્રથમ સ્પીકર, ગ્રેગ ફર્ગ્યુસે નિજ્જર માટે શોક સંદેશ વાંચ્યો અને પછી તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા કહ્યું.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક છે. G-7માં પીએમ મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. ટ્રુડોએ કહ્યું કે G7 સમિટની સૌથી સારી વાત એ છે કે તમને મોટા પાયા પર વૈશ્વિક નેતાઓ સાથે સીધા જ કનેક્ટ થવાની તક મળે છે. એવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળવાની પણ તક છે જેમની સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત અને કેનેડાના લોકો વચ્ચે સંબંધ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક સંબંધ છે.