અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોના નિપજ્યા હતા. કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને એકને સામન્ય ઈજાઓ પહોંચી હતી.
ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાટલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.