સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં શ્રીમદ ભાગવત સપ્તાહના પાચમાં દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા વ્રજમાં ભગવાન કૃષણની બાળ લીલા વર્ણવતા કહ્યું હતું કે પહેલા આપણી સનાતન ધર્મની સંસ્કૃતીમાં સોળ સંસ્કાર આપવામાં આવતા હવે તો એક થી બે સંસ્કારો ભાગ્યે જ આપતા હોય છે માટે જ કહેવામાં આવ્યું છે કે જન્મથી તો દરેક પ્રાણી એક સરખા જ હોય છે પરંતુ સંસ્કારો થી દ્વિજત્વ મળે છે. આમ અલગ અલગ સંસ્કારોની સમજણ આપતા કૃષ્ણની બાળલીલા વર્ણવી હતી.
આધ્યાત્મિક રીતે મૃત્યુ માટે ખુબ સરસ દ્રષ્ટાંત સાથે સમજણ આપતા કહ્યું હતું કે વિશ્વમાં દરેક વ્યક્તિની પાંચ વસ્તુ ભગવાને નક્કી કરેલી હોય છે એક આયુષ્ય, બીજુ પ્રતિષ્ઠા, ત્રીજું ધન, ચોથું વિદ્યા, પાંચમું મૃત્યુ આ પાંચ માં કોઈ કઈ ફેરફાર કરી શકતુ નથી. સવિસ્તાર સમજાવતા રાજા કંસ અને રાજા પરીક્ષીત ની વાત કરતા કહ્યું હતું કે રાજા પરીક્ષિત ને ખબર પડી કે સાત દિવસ પછી પોતાનું મૃત્યુ છે તો તેણે મૃત્યુ સુધારવા માટેનો પ્રયાસ કર્યો જ્યારે કંસ ને પણ ખબર પડી મૃત્યુની તો તેણે મૃત્યુ ને પકડવાનો પ્રયાસ કર્યો. મૃત્યુ એ પકડવાની ચીજ નથી મૃત્યુ એ સુધારવાની ચીજ છે. માટે જ ભગવાન કોઈને પણ યોગ્યતા વગર કંઈજ આપતા નથી. વિશ્વમાં ભગવાન જ કર્તા – અકર્તા અને અન્યથા કર્તા છે તેની ઈચ્છા વગર કંઈજ થતું નથી.
લૌકિક અને ભૌતિક વિષયો માંથી સાધકની દ્રષ્ટિ ભગવાન તરફ થાય તો ક્યારેય કોઈ વિઘ્ન નડતું નથી. ભક્તની દ્રષ્ટિ સ્વ લક્ષી હોવી જાેઈએ. જે જેવી ભાવના થી ભજે તેવી રીતે ભગવાન ભક્તને મળે છે. ભક્તિ ગમેતેટલી સારી હોય પણ ધર્મ રહિત હોય તો ક્યારેય શોભતી નથી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરી ભક્તો ભાવવિભોર બની કથા શ્રાવણ કરી રહ્યા છે કથા વિરામ બાદ મહાપ્રસાદ ની પણ ખુબ સુંદર વ્યવસ્થા સ્વામી અજયપ્રસાદજી તથા સ્વામી કીર્તનસાગરદાસજી નાં માર્ગદર્શનમાં ગોઠવવામાં આવી છે.