પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગતવર્ષે ડિસેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના 16 જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી. જ્યારે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડને સવા વર્ષ બાદ ફરીથી મંત્રીપદ મળતા તેઓ મંત્રી નિવાસમાં રહેવા જતા રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારના 16 મંત્રીને મંત્રી નિવાસમાં બંગલા ફાળવી દેવાયા છે. જો કે, તે પૈકી કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા, રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રહે છે. જેઓ ઉત્તરાયણ બાદ મંત્રી નિવાસમાં રહેવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી સવા વર્ષની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકી નવી સરકારમાં જેમને પડતા મુકાયા છે તે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, અર્જૂનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી સહિત સાતેક પૂર્વ મંત્રીઓએ પણ બંગલા માંગ્યા છે. જેના કારણે રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે.