ગુજરાતમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ યથાવત છે. સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજ પડતાં વરસાદી માહોલ બની રહ્યો છે.ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે પહેલા 29 અને 30 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હતી જેમાં એક દિવસ વધારી દેવામાં આવ્યો છે. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજી સહિત મોટાભાગના પાક ધોવાઈ ગયા. સરકારે બેઠક કરીને પ્રાથમિક સરવે કરવા આદેશ તો આપ્યો છે.
હવામાન વિભાગની નવી આગાહી મુજબ 30 અને 31 માર્ચના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વરસાદની પડવાની સંભાવના વધારે છે. 30 માર્ચે દ્વારકા,જામનગર અને કચ્છમાં, 31 માર્ચે બનાસકાંઠા,સાબરકાંઠા, પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. આ આગાહીથી ખેડૂતોના ધબકારા વધી ગયા છે.
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવું વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા પર ભાર વધશે તે વાત નક્કી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માવઠાના મુદ્દે બેઠક યોજી હતી. જે બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નુકસાનની વિગત આપવામાં આવી હતી. તેમજ 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હતું. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરને પ્રાથમિક સરવે હાથ ધરવા કહ્યું હતુ.