ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખાદ્ય સુરક્ષાના અધિકારની માંગ ક્યારે પણ યોગ્ય ગણી શકાય નહીં. જે કોઈપણ દુકાનદાર અથવા કતલખાના સંચાલકોએ નિયમિત વેચાણ કરવું હોય તો યોગ્ય નીતિ નિયમો મુજબ મંજૂરી લેવી જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં ચાલતા કતલખાનાઓમાં ગેરકાયદેસર રીતે પશુઓની કતલ થતી હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં પશુઓના કતલ વખતે યોગ્ય નિયમો ન પાડતા હોવાની રજૂઆત સાથે અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટની ફટકારબાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં કાર્યવાહી કરી હતી જેમાં ગેરકાયદેસર રીતે ચાલતા તમામ કતલખાનાઓ અને દુકાનો કાર્યવાહીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા.
સતત ચાલતી કાર્યવાહી દરમિયાન મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન માસ આવતા મીટ શોપ સંચાલકો દ્વારા રાહત આપવાની માંગ સાથે વધુ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં અરજદારોની રજૂઆત હતી કે રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે વચગાળાની રાહત તેમને આપવામાં આવે. જે મામલે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે તમામ લોકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખાદ્ય સુરક્ષાના અધિકારની માંગ ક્યારે પણ યોગ્ય ગણી શકાય નહીં. જે કોઈપણ દુકાનદાર અથવા કતલખાના સંચાલકોએ નિયમિત વેચાણ કરવું હોય તો યોગ્ય નીતિ નિયમો મુજબ મંજૂરી લેવી જરૂરી છે અને આ મંજૂરી લીધા બાદ જ જે તે કતલખાના અથવા દુકાનો ખોલી શકાશે. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે પશુ પર કૃરતા મામલે અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ નું સંપૂર્ણપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
તમામ કતલખાનાઓ અને માસ વેચતી દુકાનોમાં સંપૂર્ણપણે હાઇજીન જળવાય તે પણ ખૂબ જરૂરી છે. અરજી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને યોગ્ય રિપોર્ટ આપવા માટે નિર્દેશ આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા છે તે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લા વાર માસ વેચનાર વ્યક્તિ અથવા દુકાનો સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે તે પણ નોંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ સમગ્ર મામલે એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કર્યો હતો જેમાં વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરેલી કામગીરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.





