ભારતમાં કોરોનાની નવી લહેરની આશંકા હોય તેમ દૈનિક કેસોમાં ડરામણી રીતે વધારો થવા લાગ્યો છે. દોઢ વર્ષ બાદ દૈનિક કેસ 10,000ને પાર થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10158 નવા કોરોના કેસ નોંધાયા હતા અને તે સાથે એકટીવ કેસ વધીને 44998 થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસ 5555 થયા છે જે ગત અઠવાડિયામાં 3108 હતા.
દરમ્યાન કોરોના કેસોમાં સતત વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ સાંજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હોસ્પીટલોમાં નિયમિત મોકડ્રીલ યોજવા ઉપરાંત જીનોમ સિકવન્સીંગ વધારવા તથા નવા વેરીએન્ટ પર સતત વોચ રાખવાની સુચના આપી હતી. મહામારી ખત્મ થઈ ગયાનું માનીને હળવાશથી નહીં લેવા તથા સમગ્ર દેશમાં કોરોના સ્ટેટસને મોનીટર કરવાની તાકીદ કરી હતી.ભારતમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાએ ફરી રફતાર પકડી હોવાને પગલે વડાપ્રધાન દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી. દરમ્યાન કોરોના સંક્રમણમાં વૃદ્ધિ તથા કોરોનાથી મોતના મામલે ભારત વિશ્વભરમાં ત્રીજા નંબરનું રાષ્ટ્ર બન્યુ છે.
સંક્રમણ હજુ 10-12 દિવસ વધશે : લોકોને ફરી માસ્ક પહેરવાની સલાહ
કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વૃધ્ધિ વચ્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે સંક્રમણમાં હજુ 10-12 દિવસ વધારો થવાની શકયતા છે. પોઝીટીવ કેસો વધવા છતાં સ્થિતિ ગંભીર નથી કારણ કે હોસ્પીટલાઇઝેશન ઘણું ઓછું છે. વર્તમાન કેસો સામાન્ય ફલુ જેવા જણાય રહ્યા છે અને તે કાયમી ધોરણે હોય જ છે. એટલું જ નહીં અમુક ક્ષેત્રોમાં જ હોવાથી તાત્કાલીક નિયંત્રણમાં આવી શકે છે. નિષ્ણાંતોએ એવી પણ સલાહ આપી છે કે સાવચેતીરૂપે ફરી માસ્કનો ઉપયોગ શરૂ કરવો જોઇએ. ખાસ કરીને અન્ય રોગ ધરાવતા લોકો તથા વૃધ્ધોની પણ ખાસ સારસંભાળ રાખવી જોઇએ. હરિયાણા, કેરળ તથા પુડુચેરીએ માસ્ક ફરજીયાત કર્યાનું ઉલ્લેખનીય છે.






