નવા દરો અમલમાં આવે તે પૂર્વે જૂની સિંગલ જંત્રીથી મિલકતોના વેચાણ, હસ્તાતંરણ અંગેની નોંધણી માટે વિતેલા 1લીથી 14 એપ્રિલની સવાર સુધીમાં રૂપિયા 1200 કરોડની સ્ટેમ્પ ડયુટી ભરીની પક્ષકારો તરફથી સ્ટેમ્પ પેપર લેવાયા છે. જેમાંથી કેટલાકની નોંધણી થઈ ચૂકી છે. પરંતુ, જે દસ્તાવેજ સહિ કરીને (મતુ સાથે) તૈયાર હશે તેવા પૂરેપૂરો સ્ટેમ્પ સહી કર્યાથી ચાર મહિના સુધીમાં નોંધણી થઈ શકશે.
સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના એક્ટના નિયમો મુજબ અર્થઘટન કરીએ તો 14મી એપ્રિલની રાતે 12 વાગ્યા પહેલા જે સ્ટેમ્પ ખરીદી તેમાં પક્ષકારોનું મતુ કરી તે સમયે અમલમાં રહેલી જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી હોય તો તેવો તૈયાર થયેલા દસ્તાવેજની નોંધણી સહી કર્યાથી 4 મહિના અર્થાત 14 ઓગસ્ટ 2023 સુધી થઈ શકશે. એક રીતે સિંગલ જંત્રીના આધારે આવા સ્ટેમ્પની મિલકતની નોંધણી થઈ શકશે. જો આવા સ્ટેમ્પનો ઉપયોગ 4 મહિનામાં ન થાયતેવા સંજોગોમાં ઈસ્યુ થયાના 6 મહિનામાં 10 ટકા રકમ કાપીને સરકાર તે પરત લઈ શકે છે.
આમ કાયદા મુજબ ઇ-સ્ટેમ્પિંગ, ફેન્કીંગ કે ઈ- ચલણ ભરીને લેવામાં આવેલા સ્ટેમ્પની વૈધતા ચાર મહિનાની હોવાથી 15 એપ્રિલથી જંત્રીના દર બમણા થાય તે પહેલા સિંગલ જંત્રીએ સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીનો લાભ લેવા એપ્રિલના 14 દિવસમાં રૂ.1200 કરોડના સ્ટેમ્પ ઈસ્યુ થયા છે. 14મી એપ્રિલની સવાર સુધીમાં ઈસ્યુ થયેલા સ્ટેમ્પમાં માત્ર મિલકતની કિંમતના પાંચ ટકા જેટલી ડયુટી લેખે રૂ.1200 કરોડ રકમ સરકારમાં ભરપાઈ થઈ છે. આથી, જંત્રી બમણી થયા પૂર્વે ઈસ્યુ થયેલા સ્ટેમ્પને આધારે આગામી ચાર મહિનામાં સિંગલ જંત્રીને આધારે રૂ.1,18,200 કરોડની મિલકતોની નોંધણી થઈ શકે છે. તેમ સ્ટેમ્પ વેન્ડર અને રજિસ્ટ્રેશન સાથેની સાથે જોડાયેલાઓની ઘારણા છે.
રાજ્યમાં જંત્રીના વધારાથી બાંધકામ ક્ષેત્રે થનારી સંભવિત આડઅસર સંદર્ભે સીજીડીસીઆરની જોગવાઈઓ મુજબ પેઇડ એફએસઆઇ બાબતે બિલ્ડરોએ સ્પષ્ટતા માગી હતી, જેના પ્રત્યુત્તરમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે ઠરાવ બહાર પાડી જાહેર કર્યું છે કે, પ્લાન પાસિંગની પ્રક્રિયામાં નવી જંત્રી લાગુ થયા પહેલાં સ્ક્રૂટિની ફી ભરી હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ જ પેઇડ એફએસઆઇ વસૂલવામાં આવશે. જે કિસ્સામાં પ્લાન પાસ થઈ ગયા હોય અને એફએસઆઇના પેમેન્ટના હપતા ચાલુ હોય તેવા કિસ્સામાં પણ નવી જંત્રીની અસર પેઇડ એફએસઆઇમાં લાગુ પાડવામાં આવશે નહીં. તદુપરાંત જે કિસ્સામાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ- ટીડીઆરનો ઉપયોગ નવી જંત્રી લાગુ થયા પહેલાં કરવામાં આવ્યો હોય તેવા પ્રકરણોમાં પણ જૂની જંત્રીમાં જે તે સમયે દર્શાવવામાં આવેલા દરથી જ રકમ વસૂલવામાં આવશે. બિલ્ડરોના એસોસિયેશને માગેલી કેટલીક સ્પષ્ટતાના સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગે આ નવો ઠરાવ બહાર પાડયો છે.
રીડેવલપમેન્ટના કરાર રદ થઈ રહ્યાં છે
જંત્રી બમણી થઈ જતાં અમદાવાદની 700 જેટલી સોસાયટીના રીડેવલપમેન્ટના કામો અટકી પડયાં છે. ડેવલપર્સની એવી માંગણી છે કે જુની જંત્રીને ધ્યાને લઈ એમઓયુ કરેલા હતા. હવે જંત્રી બે ગણી થઈ જતાં કરોડો રૂપિયાનો તફાવત આવે છે તેથી કોઈને પોસાય તેમ નથી અને પરિણામે રીડેવલપમેન્ટના કરાર રદ થઈ રહ્યાં છે. આ વિકટ સ્થિતિ નિવારવા સરકારે ગઈકાલે કરાયેલા જંત્રી દર ઘટાડામાં કોઈ ઉકેલ આપ્યો નથી.




