અતીક અને અશરફને નૈની સેન્ટ્રલ જેલમાંથી પોલીસ રિમાન્ડ પર ધુમનગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંનેને કોર્ટમાંથી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર લાવવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમના વકીલો હાજર હતા. ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક, અશરફ, અતીકની પત્ની શાઇસ્તા અને અસદ સહિત 9 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સૂત્રોને ટાંકીને સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, અતીકે કહ્યું હતું કે, તેને દિલ્હીના એક મોટા રાજનેતાની મદદ મળી રહી છે. અતીકે તેના ઘણા મદદગારોના નામ પણ આપ્યા છે. જોકે, હવે ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પૂછપરછનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.
પૂછપરછ દરમિયાન અતીકે કબૂલાત કરી હતી કે, તેના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા. અતીક અહેમદે એ પણ જણાવ્યું હતું કે, તેની પાસે હથિયારોની કોઈ કમી નથી. પોલીસના સવાલોથી ગુસ્સે ભરાયેલા અતીકે કહ્યું હતું કે, ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર પર પાકિસ્તાન તરફથી હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાંથી તેની આંતર-રાજ્ય ગેંગ સાથે સંકળાયેલા સ્થાનિક સભ્યો હથિયારો એકત્ર કરીને તેની પાસે મોકલી આપતા હતા. પાકિસ્તાનથી આવેલા આ કન્સાઈનમેન્ટમાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને હથિયાર પણ મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે પોલીસ ઉમેશ પાલની હત્યામાં વપરાયેલા હથિયારો રિકવર કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માફિયા અતીક અહેમદ પુત્ર અસદના એન્કાઉન્ટરને લઈને આખી રાત રડતો રહ્યો. અતીકે પૂછપરછ કરતી પોલીસ ટીમને ઘણી વખત કહ્યું હતું કે,અ મારું બધું માટીમાં ભળી ગયું છે. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છું. પૂછપરછ દરમિયાન અતીકે અનેકવાર કહ્યું હતું કે, તેની તબિયત બગડી રહી છે. અતીકે ઘણી વાર માંગ્યા પછી પાણી પીધું હતું. આતિકે પોલીસ ટીમને ઘણી વખત પૂછ્યું કે, શું હું મારા પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકીશ? આજે પોલીસ ટીમ અતીક અને અશરફને લઈને ઘણી જગ્યાએ દરોડા પાડી શકે છે. અતીક અને અશરફના કહેવા પર હથિયારો મળી શકે છે.




