કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકારણ ગરમાઇ ગયું છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો એકબીજાને ઘેરવાની કોઈ તક છોડતા નથી. આ મંગળવારે કોંગ્રેસની એક ભૂલને કારણે ભાજપને તક મળી છે. વાસ્તવમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં PFIની સાથે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ભાજપે તેને પકડીને ભગવાન હનુમાન સાથે જોડીને તેને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું.
મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. તેમાં તેમણે વચન આપ્યું હતું કે, રાજ્યમાં જાતિ અને ધર્મના આધારે નફરત ફેલાવવા બદલ બજરંગ દળ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનો સામે નિર્ણાયક પગલાં લેવામાં આવશે. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે, આવી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવા માટે પણ કાર્યવાહી થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા મોટા નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ વિજયનગરમાં એક રેલીમાં કહ્યું કે કોંગ્રેસે ભગવાન રામને બંધ રાખ્યા અને હવે બજરંગ બલીને કેદ કરવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું, ‘કમનસીબી જુઓ, આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળા મારવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રી રામને તાળાબંધી કરવામાં આવ્યા હતા અને હવે તેમણે જય બજરંગબલીનો નારા લગાવનારાઓને તાળાબંધી કરવાનો સંકલ્પ લીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમની સરકાર આવવાનો સવાલ જ નથી. કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. આ લોકોએ શ્રીરામને વર્ષો સુધી બંધ રાખ્યા. હવે તેઓ બજરંગબલીને પણ બંધ રાખવા માંગે છે. કર્ણાટકની જનતા તેમને જવાબ આપશે. આ તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બજરંગબલીનું અપમાન કરીને PFIને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા છે.
જિન્નાએ પણ આવો મેનિફેસ્ટો બહાર પાડ્યો ન હોત.- આસામના સીએમ હિમંતા બિસ્વા
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો અને તેના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ મેનિફેસ્ટો ગણાવ્યો. હિમંતા સરમાએ કહ્યું, ‘મુસ્લિમો પાસે મેનિફેસ્ટો છે અને જિન્નાહ પણ આવો મેનિફેસ્ટો બહાર પાડતા નથી. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, કોંગ્રેસનો મેનિફેસ્ટો મુસ્લિમ મેનિફેસ્ટો છે અને જિન્નાએ પણ આવો મેનિફેસ્ટો બહાર પાડ્યો ન હોત. હિમંતાએ બેંગલુરુમાં કહ્યું, ‘PFI પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલા માટે તેઓ (કોંગ્રેસ) કહી રહ્યા છે કે જો અમારી સરકાર આવશે તો તેઓ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી દેશે. મતલબ કે જો ભાજપે PFI પર પ્રતિબંધ મૂક્યો તો તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે. એટલા માટે મેં કહ્યું કે, તે મુસ્લિમ એજન્ડા છે. જે PFI કહી શકતું નથી તે કોંગ્રેસ કહી રહી છે.





