રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો (પહેલવાનો) અને પોલીસ વચ્ચે ગતરાત્રીએ ગાદલાંને લઈને ઘર્ષણ સર્જાયા બાદ બજરંગ પુનિયાએ અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનો અને પોલીસ વચ્ચે થયેલી કથિત ઝપાઝપી બાદ બજરંગ પુનિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં અમિત શાહ પાસે જંતર-મંતર પર આંદોલનકારી ખેલાડીઓની માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ કરી છે. અમિત શાહને લખવામાં આવેલા આ પત્રમાં બજરંગ પુનિયાએ 3જી મેની રાત્રે દિલ્હી પોલીસ કર્મચારીઓ સાથે થયેલી કથિત ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે પોલીસકર્મીઓએ પહેલવાનો પર હુમલો કર્યો અને બે રેસલરના માથા ફોડી નાખ્યા. ઓલિમ્પિયન વિનેશ ફોગટ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને સાક્ષી મલિક અને સંગીતા ફોગટ સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું.
બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે 3 મેની રાત્રે તેમની સાથે થયેલી કથિત મારામારી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો. તેમણે પત્રમાં લખ્યું છે કે અમે ઓલિમ્પિયન દિલ્હીના જંતર-મંતર ખાતે 11 દિવસથી અમારી માંગણીઓને લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છીએ. 3જી મેના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દિલ્હી પોલીસના ACP ધર્મેન્દ્રએ 100 પોલીસકર્મીઓ સાથે અમારા પર હુમલો કર્યો. જેમાં પોલીસકર્મીઓએ દુષ્યંત ફોગાટ અને રાહુલ યાદવનું માથું ફોડી નાખ્યું. પત્રમાં લખવામાં આવ્યું છે કે, વિનેશ ફોગાટેની સાથે પોલીસ અધિકારીએ દુર્વ્યવહાર કર્યો. આ સાથે જ સાક્ષી મલિક અને સંગીતા ફોગાટની સાથે પણ પુરૂષ પોલીસકર્મીઓએ ખરાબ વર્તન કર્યું હતું.
પત્રમાં કરાઈ આ માંગ
– ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.
– વિરોધપ્રદર્શન સ્થળ પર અમારી ન્યૂનતમ જરૂરિયાતની વસ્તુઓ. જેમ કે વોટરપ્રૂફ ટેન્ટ, મજબૂત સ્ટેજ, પલંગ, સાઉન્ડ સિસ્ટમ, ગાદલું અને પ્રેક્ટિસ માટે કુશ્તી મેટ અને જીમના સાધનો લાવવાની પરવાનગી આપવામાં આવે.
– અલગ-અલગ જગ્યાએથી અટકાયત કરાયેલા અમારા તમામ સાથીઓની તાત્કાલિક મુક્ત કરવામાં આવે.





