ગાંધીજીના સમયથી ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ ફરી મોટો ફરેફાર થવા જઈ રહ્યો છે. વિદ્યાપીઠના નિયમ મુજબ જે વિદ્યાર્થી કેમ્પસમાં ભણે છે તેમને કેમ્પસમાં જ રહેવાનું હોય છે પરંતુ હવે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવશે. હોસ્ટેલમાં રહેવા માટે ફરજીયાતમાંથી મરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સાદરા અને રાંધેજાથી જે વિદ્યાર્થીઓ ભણવા આવશે તેમના માટે પણ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને રહેવા માટે નવો વિકલ્પ મળશે. નવી જમીન ઉપર વિદ્યાપીઠનું કેમ્પસ ઉભું કરવામાં આવશે.
ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક બદલાવ આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે તથા આગામી સત્રમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ભણવું હશે તો ફરજિયાત વિદ્યાપીઠના કેમ્પસમાં રહેવું નહીં પડે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો જ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહીને ભણી શકશે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે અન્ય જગ્યાએ રહીને વિદ્યાપીઠમાં ભણવા ઈચ્છતા હોય તો તે ભણી શકશે.
2007 અગાઉ વિદ્યાપીઠમાં સ્વૈચ્છિક રહેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2007માં સ્વૈચ્છિકનો નિર્ણય બદલીને વિદ્યાર્થીઓને ફરજિયાત વિદ્યાપીઠમાં જ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે હવે આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી ફરીથી ફરજિયાતની જગ્યાએ સ્વૈચ્છિક રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત વિદ્યાપીઠની પાછળ આવેલ ભાગમાં મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં વિદ્યાપીઠનો કેટલોક ભાગ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેની સામે વિદ્યાપીઠને 18.47 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠને વધુ આવક થતા વિદ્યાપીઠ દ્વારા આગામી દિવસમાં અમદાવાદ ગ્રામ્યની હદમાં વિદ્યાપીઠનું નવું કેમ્પસ ઊભું કરવામાં આવશે. નવા કેમ્પસ માટે 100 એકર જમીનની જરૂર છે. નવું કેમ્પસ થતા અમદાવાદ ગ્રામયના વિદ્યાર્થીઓને પણ લાભ થશે.