કેન્દ્ર સરકારની કચેરીઓના ધોરણે બેંકોમાં પણ પાંચ દિવસનું સપ્તાહ હવે તુર્તમાં લાગુ થવાના સંકેત છે. ઈન્ડિયન બેંક એસોસીએશને દરખાસ્તને મંજુરી આપી દીધી છે અને પ્રસ્તાવ નાણાંમંત્રાલયને પાઠવ્યો છે તેની મંજુરી મળ્યે બેંકોમાં ફાઈવ-ડે વીકનો અમલ શરૂ થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું છે કે બેંક કર્મચારી યુનિયન તથા ઈન્ડિયન બેંક એસોસીએશન વચ્ચે અગાઉ જ ફાઈવ-ડે વીક મુદ્દે સહમતી થઈ હતી. હવે આઈબીએ દ્વારા આ બાબતનો વિધિવત પ્રસ્તાવ નાણાં મંત્રાલયને પાઠવી દેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય તુર્તમાં દરખાસ્તને સ્વીકૃતિ આપીને પરિપત્ર જાહેર કરે તેવી શકયતા છે. સૂત્રોએ કહ્યું કે વધારાની વિકએન્ડ રજાના બદલામાં બેંકોના કારોબારના કલાકો વધારીને અઠવાડિક-માસિક કામગીરીનો સમય સરભર કરી દેવામાં આવશે.
બેંકોનો દૈનિક કામકાજ સમય 40 મીનીટ વધારવામાં આવશે.સૂત્રોએ એમ કહ્યું છે કે બેંક કર્મચારીઓ માટે પગાર-ભથ્થા રીવીઝન કરવા માટેના વેજ બોર્ડની તુર્તમાં જાહેરાત થવાની છે અને તેની સાથે જ ફાઈવ-ડે વિકનું એલાન કરવામાં આવે તેવી શકયતા છે. બેંકોમાં હાલ બીજા અને ચોથા શનિવારની રજા હોય છે. બાકીના શનિવારમાં કામગીરી નોર્મલ જ રહેતી હોય છે. બેંક કર્મચારીઓ દ્વારા અગાઉ વિવિધ મુદ્દાઓ પર હડતાળ-આંદોલન કર્યા હતા અને તેમાં એક મુદ્દો-માંગણી ફાઈવ-ડે વીકની પણ હતી. ઈન્ડિયન બેંક એસોસીએશન પણ આ મુદ્દો સંમત થઈ ગયુ હતું અને હવે તેના દ્વારા સરકાર- નાણાંમંત્રાલયને વિધિવત પ્રસ્તાવ પાઠવી દેવામાં આવ્યો છે. નાણાંખાતા સ્વીકૃતિ આપે તે પછી તુર્તજ અમલ થઈ જવાની શકયતા છે.