કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્દષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70% સાથે સૌથી વધુ રહ્યો છે. એ જ પ્રમાણે વર્ષ 2022માં 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85% સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યાનુંસાર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ગત વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવાના અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ પહેલો તેમજ પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસના પરિણામે આજે ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.
રાજ્યમાં હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારોએ રાજ્યની અનન્ય સાંસ્કૃતિક તકોનો અનુભવ કરવા રસ ધરાવતા પ્રવાસીઓને આકર્ષિત છે. ચાંપાનેર-પાવાગઢ ડેવલપમેન્ટ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરા અને ઐતિહાસિક શહેર અમદાવાદનો પણ સુગ્રથિત વિકાસ કરવામાં આવ્યો છે જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.
આ સિવાય ઇકો-ટુરીઝમ અને વાઇલ્ડલાઇફના વિકાસ માટે પણ સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કચ્છનું રણ, ગીર નેશનલ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ પ્રેમીઓને આકર્ષિત કર્યા છે, જે આ પ્રદેશની વિવિધ વનસ્પતિ- પ્રાણીસૃષ્ટિને નિહાળવાની અપ્રતિમ તકો પુરી પાડે છે. શિવરાજપુર, દ્વારકા, માંડવી અને સોમનાથ જેવા ગુજરાતના દરિયાકિનારાના વિકાસે પ્રવાસન ક્ષેત્રે મોટી લોકપ્રિયતા મેળવી છે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યવસાયની અનેકવિધ તકોના પરિણામે રોકાણની સંભાવનાઓ વધારી દીધી છે.
આ ઉપરાંત ગુજરાતે ઇવેન્ટ ટુરિઝમમાં આગવું નામ પ્રસ્થાપિત કર્યુ છે. જેમાં વર્ષ દરમિયાન જી-૨૦, નવરાત્રિ, આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ, તાનારીરી મહોત્સવ તેમજ રણોત્સવ જેવી ઇવેન્ટ્સના પરિણામે ચોક્કસ સમયગાળા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આટલું જ નહી પણ પ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકારની યોગ્ય પ્રવાસન નીતિઓ અને પ્રોત્સાહનની સાથે પ્રવાસીઓ-રોકાણકારોને સલામત અને સુરક્ષિત વાતાવરણ પુરૂ પાડ્યું છે.