ભાવનગર,તા 2
ભાવનગર નાગરિક સહકારી બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ છે જેમાં વર્તમાન શાસકો ઉપરાંત માજી ચેરમેન અને ભાજપ પ્રેરિત તદ્દન નવા ઉમેદવારોની મળી ત્રણ પેનલો વચ્ચે જંગ જામવાનો છે ત્યારે નાગરિક બેંકની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળશે અને તેના ભાગરૂપે મતદાન પણ ઊંચું રહેશે તેવા એંધાણ છે. અત્યાર સુધીમાં ચૂંટણીમાં સરેરાશ ચારથી પાંચ હજાર સભાસદો મતદાન કરતા આવ્યા છે, કુલ મતદાતાની સંખ્યા 26000 જેટલી છે તે પૈકી એનપીએ અને ડિફોલ્ટ થયેલા સભાસદોને બાદ કરતા 21000 સભાસદો મત અધિકારનો ઉપયોગ કરી શકશે.
નાગરિક બેંકની ચૂંટણીમાં અત્યાર સુધીનો ઇતિહાસમાં શાસક બોડી અને અન્ય બીજા ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો છે પરંતુ આ વખતે ત્રણ ત્રણ મજબૂત પેનલ વચ્ચે ચૂંટણીમાં મેદાનમાં ઉતરતા રસપ્રદ જંગ રહેશે, ભાજપે પ્રથમ વખત નાગરિક બેંકની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રે ભાજપનો પગપેસારો થયો છે અને મજબૂતાઈથી આગળ ધપે છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકમાં દોઢ વર્ષ પૂર્વે ભાજપે પ્રથમ વખત સત્તા હસ્તગત કરી ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય તેવી જીત મેળવી હતી. સહકાર ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે નાગરિક બેંકમાં પણ ભાજપ પ્રેરિત ઉમેદવારો ઉતારીને જંગ રસપ્રદ બનાવ્યો છે, નાગરિક બેંકની પ્રથમ વખત જ ચૂંટણી લડી રહેલા ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીમાં ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે જેથી સબળ દેખાવ થઈ શકે.
તો સામા પક્ષે વર્તમાન શાસકો અને વર્ષોથી સહકારી ક્ષેત્રે મજબૂત પકડ છે તેવા જીતુભાઈ ઉપાધ્યાયની પેનલ છે, વહીવટ અને શાસનમાં તેઓ પાવરધા રહ્યા છે. જ્યારે નાગરિક બેંકના પૂર્વ ચેરમેન ભરતભાઈ કોટીલા પણ પોતાની અલગ પેનલ સાથે તમામ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આમ નાગરિક બેંકની ચૂંટણીમાં ભારે રસાકસી જામશે અને મતદાન ઊંચું થવાની પ્રબળ સંભાવના છે.
સહકારી અને રાજકીય ક્ષેત્રના માધાંતાઓ નાગરિક બેંકની ચૂંટણી જંગમાં સામસામે ટકરાશે. આમ, નાગરિક બેંકની ચૂંટણીમાં અનેક આગેવાનોની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. રાજકારણમાં પ્રત્યક્ષ રીતે સક્રિય હોય તેવા આગેવાનો પણ ઉમેદવારો હોવાથી હારજીતની ભાવિ અસરો ખૂબ રહેશે કહી શકાય કે કેટલાક આગેવાનોની કારકિર્દી માટે આ ચૂંટણી ટર્નિંગ પોઇન્ટ બની રહેશે.!
કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે પરોક્ષ રીતે રહેશે જંગ
નાગરિક બેંકની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષના બેનર સાથે સીધી રીતના ચૂંટણી લડી શકાય નહિ પરંતુ જુદા જુદા પક્ષ પ્રેરિત ઉમેદવારોની પેનલ ચૂંટણીના મેદાનમાં છે. જેમાં જીતુભાઈ ઉપાધ્યાયની પેનલ કોંગ્રેસ પ્રેરિત ગણાય છે તેમની પેનલમાં કોંગ્રેસની વિચારધારા વાળા ઉમેદવારો છે, તો બેંકના પૂર્વ ચેરમેન ભરતભાઈ કોટીલા હાલ આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર છે તેઓ સ્વતંત્ર રીતે પેનલ બનાવી ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજપ પ્રેરિત ઉમેદવારોની પેનલે પણ પ્રથમ વખત ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. આમ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપની વિચારધારાના ઉમેદવારો વચ્ચે જંગ જામશે.