હિંદુ કેલેન્ડર અનુસાર, ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની પાંચમી તારીખે ઋષિ પંચમી વ્રત રાખવામાં આવે છે. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ઋષિ પંચમીનો તહેવાર આજે એટલે કે 20 સપ્ટેમ્બરે છે. માન્યતા અનુસાર, આ દિવસ ખાસ કરીને ભારતના ઋષિઓના સન્માન માટે સમર્પિત છે. ઋષિ પંચમીના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ઘણું મહત્ત્વ છે. આ ઉપરાંત ઋષિ પંચમીના દિવસે ઉપવાસ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોની ક્ષમા મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ઋષિ પંચમી વિશેની તમામ મહત્ત્વની વાતો…
ઋષિ પંચમીનું મહત્ત્વ
ઋષિ પંચમીનો દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓને સમર્પિત છે. ધાર્મિક કથાઓ અનુસાર આ સાત ઋષિઓ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સપ્તઋષિઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
ઋષિ પંચમી 2023 મુહૂર્ત
પંચાંગ અનુસાર, 19 સપ્ટેમ્બર, મંગળવારે બપોરે 01.43 વાગ્યાથી પંચમી તિથિનો પ્રારંભ થશે. આ તારીખ 20 સપ્ટેમ્બરે બપોરે 02:16 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર 20 સપ્ટેમ્બરે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવશે. ઋષિ પંચમીની પૂજાનો સમય સવારે 11:19 થી 01:45 સુધીનો છે.
ઋષિ પંચમી વ્રતની રીત
20 સપ્ટેમ્બરે ઋષિ પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું. આ પછી, ઘર અને મંદિરને સારી રીતે સાફ કરો. આ પછી પૂજાની સામગ્રી જેવી કે ધૂપ, દીપ, ફળ, ફૂલ, ઘી, પંચામૃત વગેરે એકત્ર કરો અને એક લાલ કે પીળું કપડું પાટ પર પાથરી દો. પાટ પર સપ્તર્ષિનું ચિત્ર મૂકો. જો તમે ઈચ્છો તો આ દિવસે તમારા ગુરુની તસવીર પણ લગાવી શકો છો. હવે તેમને ફળ, ફૂલ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરો અને તમારી ભૂલોની માફી માગો. આ પછી આરતી કરો અને દરેકમાં પ્રસાદ વહેંચો.
પૌરાણિક કથા
સત્યયુગમાં વેદ જાણનાર સુમિત્રા નામનો બ્રાહ્મણ તેની પત્ની જયશ્રી સાથે રહેતો હતો. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પુત્રનું નામ સુમતિ હતું, જે સંપૂર્ણ વિદ્વાન અને આતિથ્યશીલ વ્યક્તિ હતા. સમય આવ્યો ત્યારે સંયોગવશ બંને એક સાથે મૃત્યુ પામ્યા. જયશ્રીને કુતરીનો જન્મ મળ્યો અને તેના પતિ સુમિત્રા બળદ બન્યા. સદભાગ્યે, તે બંને તેમના પુત્ર સુમતિના ઘરે રહેવા લાગ્યા. એકવાર સુમતિએ તેના માતા-પિતાનું શ્રાદ્ધ કર્યું. તેમની પત્નીએ બ્રાહ્મણ ભોજન માટે ખીર રાંધી હતી, જે અજાણતા સાપે એઠી કરી દીધી. કૂતરી આ ઘટના જોઈ રહી હતી. ખીર ખાનારા બ્રાહ્મણો મરી જશે એમ વિચારીને પોતે ખીરને સ્પર્શ કર્યો. આનાથી ગુસ્સે થઈ સુમતિની પત્નીએ કૂતરીને ખૂબ માર માર્યો. પછી તેણે બધા વાસણો સાફ કર્યા અને ફરીથી ખીર બનાવી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું અને તેના વાસણને જમીનમાં દાટી દીધા. આ કારણે તે દિવસે કૂતરી ભૂખી રહી ગઈ.
જ્યારે મધ્યરાત્રિ થઈ, ત્યારે કૂતરી બળદ પાસે આવી અને આખી વાર્તા સંભળાવી. બળદ ઉદાસ થઈને બોલ્યો – ‘આજે સુમતિએ મારું મોં બાંધીને મને ખેડ્યો અને મને ઘાસ ચરવા પણ ન દીધું. આનાથી મને પણ ખૂબ જ દુઃખ થાય છે.’ સુમતિ એ બંનેની વાત સાંભળી રહ્યો હતો અને તેને ખબર પડી કે કૂતરી અને બળદ મારા માતા-પિતા છે. તેણે બંનેને ભરપૂર ભોજન કરાવ્યું અને ઋષિમુનિઓ પાસે જઈને તેમના માતા-પિતાના પશુ સ્વરૂપમાં જન્મ લેવાનું કારણ અને તેમના કલ્યાણનો ઉપાય પૂછ્યો. ઋષિમુનિઓએ તેમને તેમના મોક્ષ માટે ઋષિ પંચમીના રોજ ઉપવાસ કરવાનું કહ્યું. ઋષિમુનિઓની આજ્ઞા અનુસાર, સુમતિએ ઋષિ પંચમીનું વ્રત પૂર્ણ ભક્તિ સાથે પાળ્યું, જેના પરિણામે તેના માતા-પિતા પશુજીવનમાંથી મુક્ત થયા.