આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને સખત ફટકાર લગાવી છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને બિનશરતી માફી માંગવા કહ્યું છે.
સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સસ્પેન્શન મામલે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે અધ્યક્ષ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરશે અને મામલાને આગળ લઈ જશે. હવે સસ્પેન્શન કેસની આગામી સુનાવણી 20 નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે દિવાળીની રજાઓ બાદ AAP સાંસદની અરજી પર સુનાવણી સુનિશ્ચિત કરી છે. તેમજ એટર્ની જનરલને આ કેસમાં આગળની ઘટનાઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે એટર્ની જનરલ આર વેંકટરામાણીને દિવાળીની રજાઓ પછી આ કેસમાં થનારી ઘટનાક્રમથી માહિતગાર કરવા જણાવ્યું હતું. CJIએ કહ્યું હતું કે સાંસદે આ મુદ્દે બિનશરતી માફી માંગવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ સમગ્ર મામલાને સહાનુભૂતિપૂર્વક વિચારી શકે છે અને આ સંદર્ભે આગળનાં પગલાં લઈ શકે છે.