સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આખરે કેન્દ્ર સરકારે ત્રણ જજોની નિમણૂક પર નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા, મુખ્ય ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને મુખ્ય ન્યાયાધીશ સંદીપ મહેતાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે. આ તમામ ન્યાયાધીશો આજે સાંજે 4.15 કલાકે શપથ લેશે. તેમની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થઈ જશે.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા, જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહ અને જસ્ટિસ સંદીપ મહેતા હાલમાં દિલ્હી, રાજસ્થાન અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ઉચ્ચ ન્યાયપાલિકામાં કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્રનું પસંદગીયુક્ત વલણ સમસ્યા ઊભી કરશે.