વર્લ્ડકપની ફાઇનલના ત્રણ દિવસ પછી આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝ શરૂ થઇ રહી છે. આજે સાંજે 7:00 વાગ્યે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ તેના વર્લ્ડકપના મોટાભાગના સ્ટાર્સને આરામ આપ્યો છે. સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળશે.
ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં યુવા ખેલાડીઓને અજમાવવાનો નિર્ણય લીધો છે જ્યારે ઓસ્ટ્રેલિયા મેથ્યૂ વેડની કેપ્ટન્સી હેઠળ મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, એડમ ઝમ્પા, ટ્રેવિસ હેડ તેમજ ઇઁગ્લિસ સહિતના ઘણા વર્લ્ડકપના સ્ટાર્સને ટી-20 સિરીઝમાં તક આપવામાં આવી છે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતની ટી-20 ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંઘ, તિલક વર્માની સાથે જિતેશ શર્મા અને મુકેશ કુમાર પણ સામેલ છે, જેઓ પસંદગીકારોનું ધ્યાન ખેચવાનો પ્રયાસ કરશે. ઓલ રાઉન્ડર અક્ષર પટેલ ઇજામાંથી સ્વસ્થ થયા પછી પુનરાગમન કરી રહ્યો છે. આ સિવાય શિવમ દુબે, રવિ બિશ્નોઇ અને વોશિંગ્ટન સુંદર તેની પ્રતિભાનો ચમકાદો દેખાડવા માટે તૈયાર છે. ટીમ ઇન્ડિયાની બેટિંગનો દારોમદાર યશસ્વી જયસ્વાલની સાથે રૂતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ પર રહેશે. વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના વચગાળાના કોચ તરીકે જોડાયો છે.