ડીપફેકના વધતા જતા વિવાદ વચ્ચે હવે સરકારે આ પ્રકારે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો ગેરઉપયોગ કરીને સેલીબ્રીટી સહિતના ડીપફેક વિડીયો-ફોટા તથા વોઈસ વિ. મારફત કરાતી પરેશાનીમાં હવે કેન્દ્ર સરકારે આ પ્રકારની ફરિયાદ સાંભળવા તથા ભોગ બનેલાને કાનુની સહીતની મદદ માટે ખાસ તંત્ર ઉભુ કરીને તેમાં અધિકારીઓની નિયુક્તિ કરવા તૈયારી કરી છે તો ભોગ બનનાર સામાન્ય નાગરીક પણ ડીપફેક નહી હટાવનાર કે તેના બનાવનાર અંગે માહિતી નહી આપનાર સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર સીધી ફરિયાદ કરી શકે તેવો કાનૂન લાવશે.
કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે આ પ્રકારની ફરિયાદ નોંધાવાનો નાગરિકને અધિકાર અપાશે અને તેમાં સરકાર પણ નાગરિકને કાનુની સહાયતા કરશે. આ માટે એક ખાસ પ્લેટફોર્મ પણ ઉભુ કરવા સરકારે જાહેરાત કરી છે. તેઓએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આજથી જ હવે આઈટી નિયમોના ભંગમાં સરકાર ઝીરો ટોલરન્સ- જરાપણ સહન નહી કરવાનો અભિગમ અપનાવાય છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ડીપફેક કે અન્ય રીતે અપલોડ થતા વાંધાજનક કન્ટેન્ટની માહિતી તથા તેના મુળ ઉદભવ પણ જણાવવુ પડશે અને તેની ઓળખ પણ આપવી પડશે જેના આધારે ફરિયાદ નોંધાશે પણ જો કોઈ સોશ્યલ મીડીયા તેને આ વાંધાજનક કન્ટેન્ટની જાણ કરાય પછી 36 કલાકમાં ન હટાવે કે તે માહિતી ના આપે તો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે. શ્રી ચંદ્રશેખરે કહ્યું કે ઈન્ટરનેટ કંપનીઓ સાથે આજે લાંબી બેઠક યોજવામાં આવી હતી.