બંગાળની ખાડીમાંથી 2 ડિસેમ્બરે નીકળેલું ચક્રવાત મિચોંગ આજે બપોરે 1 વાગે આંધ્ર પ્રદેશના બાપટલા નજીક નેલ્લોર-મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર, આ દરમિયાન 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ છે. રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તહેનાત છે.
બીજી તરફ તમિલનાડુમાં મંગળવારે વરસાદમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારના વાવાઝોડાને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર કાર તણાઈ રહી હતી. વિમાન એરપોર્ટ પર ભરાયેલા પાણીમાં ઊભું રહ્યું. 16 કલાક બાદ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટની ઉડાન શરૂ થઈ ગઈ છે. 4 નવેમ્બરે રનવે પર પાણી ભરાઈ જવાને કારણે લગભગ 70 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. 30 ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી.
વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નાઈ, તમિલનાડુમાં જોવા મળી હતી. 3 ડિસેમ્બર, રવિવાર સવારથી ચેન્નાઈમાં લગભગ 400-500 મીમી વરસાદ નોંધાયો છે. તમિલનાડુના પાણી પુરવઠા મંત્રીના જણાવ્યા અનુસાર, ચેન્નાઈમાં 70-80 વર્ષમાં પ્રથમ વખત આવો વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.
વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 204 ટ્રેનો અને 70 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં NDRFની 21 ટીમો તહેનાત છે. આ સિવાય કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીના જહાજો અને એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.