ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટના વધી છે. મોટાભાગના લોકો રોડ અકસ્માતમાં સારવારમાં વિલંબના કારણે મૃત્યુ પામતા હોવાનું સામે આવ્યું છે. આ બાબત ધ્યાને આવતા સરકાર ગંભીર ઇજા પામતા ઘાયલ દર્દીઓને સુરક્ષા પાડવા જઈ રહી છે. જેથી ઘાયલોને વહેલી તકે મફત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. દેશમાં માર્ગ અકસ્માતને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ માહિતી મુજબ ગત વર્ષે 4.46 લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 4.23 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.71 લાખ લોકોના મોત થયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ઘાયલ દર્દીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માતના કેસોમાં મફત સારવાર કેશલેસની વ્યવસ્થા કરવા જઈ રહી છે. આ માટે મોટર વ્હીકલ એક્ટમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મોટર વ્હીકલ એકટ, 2019ની કલમ 162 (1) હેઠળ ‘ગોલ્ડન અવર’માં અકસ્માતના ઇજાગ્રસ્તને કેશલેસ સારવાર આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ‘ગોલ્ડન અવર’ એટલે કે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામ્યા બાદના પ્રથમ કલાકમાં દર્દીને તાત્કાલિક સંભાળ માટે આ સમય દરમ્યાન મફત સારવાર (cashless facility) આપવામાં આવે જેથી દર્દી મોટા જોખમથી બચી શકે. અકસ્માતના શરૂઆતના થોડા કલાકોમાં જ દર્દીને ડોક્ટરી સારવાર મળી જાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય. જો કે સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં બદલાવ કરી ઇજાગ્રસ્તોને વધુ સુરક્ષા પ્રદાન કરવા જઈ રહી છે.
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુદર ઘટાડવા અને ઘાયલોને વહેલી તકે તબીબી સારવાર મળે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી ઘાયલોને સારવાર માટે ટૂંક સમયમાં કેશલેશ સુવિધાની શરૂઆત કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. જેના બાદ આગામી 4 મહિનામાં સમગ્ર દેશમાં કેશલેશ સુવિધા લાગુ કરવામાં આવશે.
મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, માર્ગ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. મોટર વ્હીકલ એક્ટમાં ફ્રી અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ સામેલ છે. આ સુવિધાનો કેટલાક રાજ્યોમાં અમલ થતો હતો જો કે હવે સમગ્ર દેશમાં આ નિયમનું પાલન કરવા અંગેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આરોગ્ય અને પરિવાર મંત્રાલયને સમગ્ર દેશમાં કેશલેસ સારવાર સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે.