માં ભોમની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો હતો, તેમનો પાર્થિવ દેહ આજે ભાવનગર આવી પહોંચતા લશ્કરી માન સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. દેશ ભક્તિના માહોલ વચ્ચે આજે યોજાયેલ અંતિમયાત્રામાં રાજનેતાઓ, અગ્રગણ્ય નાગરિકો અને નગરજનો અને સગા સબંધીઓ જોડાયા હતા અને સજળ નયને વિદાય આપી હતી.
ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના વતની અને હાલ અકવાડા સ્થાયી સંજયભાઈ ભરતભાઈ ચુડાસમા ભારતીય સૈન્યમાં રાજસ્થાનના સુરજગઢમાં પાકિસ્તાન બોર્ડર પર ફરજ પર હતા. ડયૂટી પૂરી કરી રાત્રીના સુમારે તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા સાથી જવાનોએ તેમને શ્રીગંગાનગર સ્થિત મીલીટરી હોસ્પિટલ લઈ ગયેલ જયા ફરજ પરના તબીબે તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા.
આજે વીર જવાનનો પાર્થિવદેહ ભાવનગર લવાયો હતો, સાથે ભારતીય સૈન્યની ટુકડીએ ઉપસ્થિત રહી ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી પ્રોટોકોલ અને માન સન્માન અપાયું હતું. સ્થાનિકો વીર જવાનને પુષ્પાંજલિ અર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતિયાત્રામાં બહોળી ઉપસ્થિતિ રહી હતી. વીર જવાન અમર રહો, ભારત માતાકી જય ના નારા સાથે દેશ ભક્તિના માહોલ વચ્ચે સ્વર્ગસ્થ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.