અયોધ્યામાં રામલલ્લાની મંદિરમાં સ્થાપના કરવાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે. આ સૌની વચ્ચે ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. ગુજરાતથી આ કાર્યક્રમમાં સામેલ થવા જનારા લોકોને લઈને એક સારા સમાચાર આવ્યા છે.
માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.