દક્ષિણપૂર્વ એશિયાના દેશોના લોકો ફરી એકવાર કોરોનાના ભયથી પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને તેને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમજ વિશ્વભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે હવે કોરોનાના નવા વેરિએન્ટથી ઝડપથી દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ચિંતામાં વધારો થયો છે. સરકારે સાવચેતીના ભાગરુપે અત્યારથી જે તેને નિયંત્રિત કરવામાં માટે જરુરી નિયમોને કડક કરવાનું શરુ કર્યું છે. સરકારે લોકોને એરપોર્ટ પર માસ્ક પહેરવાની અપીલ કરી છે જ્યારે તાવ તપાસવા માટે થર્મલ સ્કેનર ફરીથી શરુ કરવામાં આવશે.
આ ઉપરાંત સરકાર ઘણા પ્રકારના જંતુઓ જેવા કે કોવિડ વેરિએન્ટ, ફ્લૂ, ન્યુમોનિયા અને અન્ય શ્વાસન રોગોનો ફેલાવાને ઓછો કરવાનું લક્ષય રાખી રહી છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કેસોમાં વધારો થવાનું કારણ જણાવતા કહ્યું હતું કે કેસોમાં વધારો થવાના ઘણા પરિબળો હોય શકે છે જેમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો તેમજ તહેવારોની સીઝન દરમિયાન યાત્રા અને લોકોનો સંપર્કમાં વધારો સામેલ છે.
સિંગાપોરની સરકારી વેબસાઈટએ જણાવ્યું હતું કે BA.2.86ના વેરિએન્ટ JN.1થી સંક્રમિત કેસો હાલમાં સિંગાપોરમાં 60 ટકાથી વધુ COVID-19 કેસ માટે જવાબદાર છે. MOHએ જણાવ્યું હતું કે હાલમાં વૈશ્વિક અથવા સ્થાનિક સ્તરે એવા કોઈ સંકેત નથી કે BA.2.86 અથવા JN.1 અન્ય કોવિડ પ્રકારો કરતાં વધુ ચેપી છે અથવા વધુ ગંભીર રોગનું કારણ બને છે.
ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયે પણ ઇન્ડોનેશિયાના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોનાના કેસો વધી રહ્યા હોય તેવા વિસ્તારોમાં તેમની મુસાફરી કરવાનું ટાળે. મલેશિયામાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડના કેસ લગભગ બમણા થઈ ગયા છે.
કોવિડને લઈને દક્ષિણ એશિયાની સરકારો દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અને માસ્ક માટેની અપીલને ધ્યાનમાં રાખીને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. કોરોનાના કેસોમાં વધારાની વચ્ચે લોકોને આશંકા છે કે આ મહામારી ફરીથી ખતરો ઉભી કરી શકે છે.