ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એક વૃદ્ધા ઘરે એકલા હતા તે દરમિયાન બિમારી તેમજ માનસિક ત્રાસથી કંટાળી ઘરના બાથરૂમમાં જઇ શરીરે આગ ચાંપી દઇ જાતે સળગી જઇ
આપઘાત કર્યો હતો બનાવ બાદ વૃદ્ધાના પુત્ર સહિત પરિવારના સભ્યો દ્વારા તેમને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબિબે વૃદ્ધાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. શહેરના સુભાષનગર અજયવાડી પાછળ, હરિરામનગર -૧માં રહેતા મનીષભાઇ ત્રિવેદીએ જણાવેલ કે, તેમના માતા હંસાબેન વૃજલાલ ત્રિવેદી (ઉ.વ.૭૦) ઘણા સમયથી લીવરની બિમારીથી પિડાતા હોય જેના કારણે તેઓ માનસીક રીતે કંટાળી ગયા હતા પરંતુ થોડાક સમયથી તેમની બિમારી સુધારા ઉપર હતી અને ગઇકાલે મનીષભાઇના પત્નિ તેમજ પુત્રી કોઇ કારણોસર સોસાયટીમાં ઉભા હતા તે સમયે હંસાબેને બિમારીથી કંટાળી અને ઘરે એકલતાનો લાભ લઇ, બાથરૂમમાં જઇ પોતાના શરીરે આગ ચાંપી દઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ મનીષભાઇને થતાં હંસાબેનને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબિબે હંસાબેનને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે ઘોઘારોડ પોલીસે કેસ કાગળ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.