પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિરોધ પક્ષોના બ્લોક ઈન્ડિયાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું હતું, પરંતુ કૉંગ્રેસના પીઢ નેતા ખડગેએ કહ્યું હતું કે પહેલી જરૂરિયાત લોકસભાની ચૂંટણી જીતવાની છે અને બીજી બધી બાબતોનો નિર્ણય બાદમાં લઈ શકાશે.સૂત્રોએ કહ્યું હતું કે આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
૨૮ વિરોધ પક્ષોએ હાજરી આપેલી બેઠકમાં દેશના પ્રથમ દલિત વડા પ્રધાન બનાવવા ખડગેનું નામ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સૂચવાયું ત્યાર બાદ ખડગેએ કહ્યું હતું કે હું કચડાયેલા લોકો માટે કામ કરું છું. પહેલાં આપણે જીત મેળવીએ ત્યાર બાદ આપણે વિચારીશું. હું કોઈ માગણી કરતો નથી. એમડીએમકેના નેતા વાઈકોએ કહ્યું હતું કે ખડગેનું નામ બેનર્જી અને કેજરીવાલે સૂચવ્યું હતું.