ખંભાત બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યાને હજી ગણતરીના કલાકો જ થયા છે. ત્યાંજ કૉંગ્રેસના વધુ એક ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનું સામે આવતા પાર્ટીની સ્થિતિ કફોડી બની છે. પાટણ બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, મેં છ મહિના પહેલા જ પાર્ટીને લેખિતમાં કહ્યું છે કે, મારી માગણી નહીં સંતોષાય તો હું પક્ષમાંથી રાજીનામું ધરી દઈશ.
કિરીટ પટેલે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની પણ વાત કરી ખુલ્લીને પોતાની નારાજગી વ્યકત કરી હતી. કિરીટ પટેલના આ નિવેદનના કારણે હાલ તો પાટણ અને ગાંધીનગરના ઠંડા માહોલમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આગળ જાણીએ કે, એવી કઈ બાબત છે કે, જેનાથી કિરીટ પટેલ નારાજ છે અને પક્ષ છોડવાની વાત કરી રહ્યા છે.પાટણ બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામું આપે છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરુર છે. ભાજપના 156 ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારે એમને સત્તા માટે કોઈ ધારાસભ્યની જરુર નથી. પરંતુ, જે રીતે આપ અને કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે. બંને પાર્ટીઓએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. શા માટે પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજીનામું આપે છે તેની ચર્ચા કરવી જોઈએ.
અમારી જે નારાજગી હતી. ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે જેની લેખિતમાં રજૂઆત કરી છે. એ લોકોને દૂર કરવાના બદલે હોદા આપવામાં આવ્યા, શિસ્તવિરુદ્ધ પ્રવૃતિ બદલ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. રજૂઆત કર્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો હું માનું છું કે, આ નિર્ણય શક્તિનો અભાવ છે.