મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.
આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૭૩૫ કરોડ, સુરતને રૂ. ૫૬૯ કરોડ, વડોદરાને રૂ. ૧૭૨ કરોડ, રાજકોટને રૂ.૧૩૫ કરોડ તથા જામનગરને રૂ.૧૦૯ કરોડ તેમજ ગાંધીનગરને રૂ. ૩૭ કરોડ, ભાવનગરને રૂ. ૯૪ કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૧ કરોડ મળી ૮ મહાનગરોને કુલ રૂ. ૧૮૮૨ કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને ૪૪ કરોડ, ‘બ’ વર્ગને ૩૬ કરોડ તથા ‘ક’ વર્ગને પણ ૩૬ કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૭ કરોડ મળી સમગ્રતયા ૨૦૮૪ કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે. આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે તેવી પ્રતિતી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં G-20ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે G-20 દેશોને કરાવી છે.
પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ ૧૦ ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.