ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન ન્યાયમાં વિલંબનો છે અને તેના કારણે અપરાધીઓ માટે પણ સરળતા થાય છે. પિડિતો અદાલતના ‘ધકકા’ ખાય છે પણ કેન્દ્ર સરકારે અંગ્રેજ સતાના ત્રણ ફોજદારી કાનુનોના સ્થાને ભારતીય ન્યાય સંહિતા સહિતના જે ત્રણ નવા કાનૂનો સંસદમાં મંજુર કરાયા છે. તેમાં સરકારે ત્વરીત ન્યાયને પ્રાથમીકતા આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આ અંગે અધિકારી સાથેની શ્રેણીબદ્ધ બેઠકોમાં આ મુદાને પ્રાથમીકતા આપવા તાકીદ કરી હતી અને હવે તેનો પ્રભાવ નવા કાનુનમાં જોવા મળી જ રહ્યો છે. ન્યાયમાં વિલંબ એ ન્યાયના ઈન્કાર જેવો છે. ખાસ કરીને હાઈપ્રોફાઈલ કેસમાં તો જે તે કેસ સાથે સંકળાયેલા પ્રભાવશાળી લોકો કેમ વિલંબમાં પડે તે નિશ્ચિત કરતા જાય છે તથા સમગ્ર કાનુની પ્રક્રિયામાં ‘ન્યાય’ થાય તે માટે જે હકક આરોપીને અપાયા છે તેનો વ્યાપક દુરઉપયોગ થાય છે પણ નવા કાનૂનમાં હવે જવાબદેહી નિશ્ચિત કરવામાં આવે છે. ટેકનોલોજીની મદદથી સમયનો બચાવનો માર્ગ અપનાવાયો છે.
આ નવા કાનૂનોમાં અપરાધીક કાર્યવાહી શરૂ કરવાથી ગીરફતારી, ચાર્જશીટ અને વેચાણે લેવા અને પ્રારંભીક દલીલો, સરકારી વકિલોની નિયુક્તિ દ્વારા જામીન દલીલો અને ચુકાદો તથા સજા આ તમામ માટે સમય મર્યાદા નિશ્ચિત થઈ છે અને તેનો જો 100% પાલન થાય તો ભારતીય ન્યાયતંત્રની પુરી તસ્વીર બદલાઈ જશે. નવા કાનૂનોમાં 35 સ્થળો પર ટાઈમલાઈન નિશ્ચિત થઈ છે. ઈ-એફઆઈઆરને ત્રણ જ દિવસમાં એફઆઈઆરમાં પરિવર્તીત કરી દેવામાં આવશે. જાતીય અપરાધનો ભોગ બનેલા પિડિતની મેડીકલ સહિતની તમામ વિ. માટે પણ સમય મર્યાદા અને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા નિશ્ચિત થઈ અને તેની 90 દિવસમાં જાણ કરવાની રહેશે અને આરોપોની પ્રથમ સુનાવણીના 60 દિવસમાં જ ચાર્જશીટ ફ્રેમ થઈ જવા જોઈએ. ઉપરાંત અપરાધી જો ભાગેડુ હોય તો પણ તેની અનઉપસ્થિતિમાં પણ કાર્યવાહી અને સુનાવણી પુરી થયાના 45 દિવસમાં ચુકાદો આપવાનો રહેશે.