સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ધોળે દિવસે પોલીસ પર હુમલો થતા ચકચાર મચી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓ દ્વારા છરી સહિતના તિક્ષણ હથિયાર વડે હુમલો કરાતા PSIને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે. PSI સહિતના પોલીસ કાફલા પર હુમલો કરી આરોપીઓ પોતાની કાર લઈ નાસી છૂટતા સુરેન્દ્રનગરની પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાટણના સમી પોલીસ મથકના પ્રોહિબીશનના આરોપી જાલિમસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા ઝીંઝુવાડામાં હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડાના PSI કે.વી.ડાંગર અને એમનો સ્ટાફ આરોપીને પકડવા માટે ગયા હતા. જ્યાં એમના પર છરી સહિતના સાધનો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ઝીંઝુવાડા PSI કે.વી.ડાંગર અને એક કોન્ટેબલ ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે બંને આરોપીઓ પોલીસને થાપ આપીને પોતાની ક્રેટા ગાડીમાં નાસી છૂટવામાં સફળ થયા હતા.
પોલીસ સ્ટાફ પર આ હુમલામાં PSI કે.વી.ડાંગરની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ હાલત નાજુક જણાતા ફરજ પરના હાજર તબીબે એમને વધુ સારવાર અર્થે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમા રીફર કર્યા કર્યા છે. જેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પુષ્કળ લોહી વહી જવાના કારણે હાલ એમની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ PSI કે.વી.ડાંગરની ગઈકાલે જ ઝીંઝુવાડાથી ધ્રાંગધ્રા DySP કચેરીમાં રીડર ટુ તરીકે બદલી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારી ઉપર હુમલાનો આ ત્રીજો બનાવ છે. થોડા દિવસો પહેલાં જ થાનના PSI ઉપર હુમલો થયો હતો. જે અગાઉ પાણસીના PSI ઉપર હુમલો થયો હતો.