ભાવનગર મહાપાલિકામાં કમિશનર ઉપાધ્યાયએ રાજ સંભાળ્યા બાદ ખુણે-ખાચરેથી ગેરકાયદે લારી-કેબીનો તેમજ કાચા-પાકા દબાણો દૂર થઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે, મ્યુ. તંત્ર રોજ ઉઠીને દબાણ હટાવે છે છતાં દબાણકર્તા તત્વોને કોઇ અસર જ ન હોય તેમ ફરીથી પાછુ બધુ ગોઠવાઇ જાય છે. ખાસ કરીને શહેરના હાર્દ સમા વિસ્તારોમાં લારી-ગલ્લાના દબાણોની ભરમારના કારણે વાહનો ચાલી શકતા નથી તેમજ રાહદારીઓને ચાલીને નિકળવું પણ દુષ્કર છે ત્યારે મ્યુ. તંત્રની દબાણ હટાવ ઝુંબેશ અસરકારક ક્યારે બનશે તેવો લોકોમાં સવાલ ઉઠ્યો છે.
શહેરના કાળાનાળા, ઘોઘાગેટ ચોક, હાઇકોર્ટ રોડ, એમ.જી. રોડ, પીરછલ્લા શેરી, જમાદાર શેરી, વોરાબજાર, શાકમાર્કેટ, આંબાચોક, નારેશ્વર મંદિર, ગોળ બજાર સહિતના હાર્દ સમા મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદે લારી અને પાથરણાવાળાઓના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. આ વિસ્તારોમાં મ્યુ. તંત્ર સમયાંતરે દબાણ હટાવ કાર્યવાહી કરે જ છે પરંતુ તેની અસરકારક્તા જાવા મળતી નથી. આથી મ્યુ. તંત્ર કડક કાર્યવાહી કરે તો જ કામનું બાકી શો-મેન શીપથી કોઇ ફાયદો છે નહીં !