સર્વોચ્ચ અદાલતે ડિઝલથી ચાલતા ભારે વાહનો તબકકાવાર હટાવી દેવા અને બીએસ-6 એન્જીન ધરાવતા વાહનો દાખલ કરવાનો આદેશ કર્યો છે. પર્યાવરણ પ્રદુષણ ઓથોરીટીની ભલામણોના આધારે અદાલતે કેન્દ્ર સરકારને આ સુચના આપી છે.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અભય એસ.ઓકા તથા પંકજ મિથલની બેંચે સુનાવણી દરમ્યાન કેન્દ્રીય ભૂતલ અને પરિવહન મંત્રાલયને છ મહિનામાં નીતિ ઘડવાનો પણ આદેશ કર્યો હતો. કેન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વિરુદ્ધ કરેલી અપીલના કેસમાં આ આદેશ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમ્યાન પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ટ્રકો એનસીઆરમાં દાખલ ન થાય તે માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે ત્યારે અદાલતે એવી ઝાટકણી કાઢી હતી કે સ્વચ્છ હવા મેળવવાનો અધિકાર માત્ર દિલ્હીવાસીઓનો નથી ડાયવર્ઝનનો અર્થ એવો થાય છે કે એનસીઆરની બહાર વસતા લોકોને સ્વચ્છહવા લેવાનો અધિકાર નથી અને તેઓને પ્રદુષણ વેઠવું પડે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે ડિઝલના વિકલ્પમાં સીએનજી, હાઈબ્રીડ, ઈલેકટ્રીક જેવા વાહનોની શકયતા ચકાસવા સંશોધનો જારી રાખવામાં આવે. 31 જુલાઈના રોજ નવી સુનાવણી કરાશે.
અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે દિલ્હી-એનસીઆર સિવાય દેશના બાકીના ભાગોમાં વસતા નાગરિકોને પણ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રદુષણ મુક્ત વાતાવરણ મેળવવાનો મૌલિક અધિકાર છે અને તે તમામ માટે સમાનરૂપે લાગુ થવો જોઈએ.