ભાજપના એજન્ડામાં અયોધ્યા પછી હવે મથુરા ટોચ પર પહેશે. 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો, તેવી જ રીતે પક્ષની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. પરિષદની બેઠક 16થી 18 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીના ભારત મંડપમ્માં મળશે. તેમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, પ્રદેશ અધ્યક્ષ સહિત રાષ્ટ્રીય પરિષદના 8000 પ્રતિનિધિ જોડાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ હોઈ શકે છે. આ પ્રસ્તાવ સીધો ભાજપ રજૂ કરે કે પછી વિહિપ જેવાં કોઈ સંગઠન થકી લાવવો, તેનું પક્ષના ટોચના નેતાઓમાં મંથન ચાલી રહ્યું છે. પક્ષના એક વરીષ્ઠ નેતાએ કહ્યું કે જ્યારે અમે રામમંદિરનો પ્રસ્તાવ લાવ્યા હતા ત્યારે સ્થિતિ જુદી હતી. અમે વિપક્ષમાં હતા. અમારે લાંબી અદાલતી કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું હતું. હવે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ, બંનેમાં અમારી સરકાર છે. અમે મુસ્લિમ પક્ષો સાથે વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. યુપી સરકાર જન્મભૂમિ અંગે કાયદો પણ લાવી શકે છે. અદાલત જવાનો વિકલ્પ સૌથી છેલ્લો રહેશે.