ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરાના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા વહીવટીતંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 ના મોત થયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.
હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.
હલ્દવાની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓ માર્ગો પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. CM પુષ્કર ધામી પણ આ સમગ્ર મામલે અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે.
મૌલાના મહમૂદ મદનીએ ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર
જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ હલ્દવાનીમાં ફાટી નીકળેલી હિંસા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે હલ્દવાનીના બાણભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મલિકના બગીચામાં આવેલી મસ્જિદ અને મદરેસા મામલે હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની હતી. આ જગ્યા મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં આવેલી છે અને મુસ્લિમ પક્ષ દ્વારા 1937થી લીઝ પર લેવામાં આવી છે. આવા સંવેદનશીલ મુદ્દાઓને સંબોધતી વખતે સ્થાનિક સમુદાયની લાગણીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે.હું વિનંતી કરું છું કે ભવિષ્યમાં ધાર્મિક સ્થળો સામે તોડફોડના કૃત્યોની ઘટનાઓમાં સ્થાનિક વહીવટીતંત્રે અસરગ્રસ્ત સમુદાય સાથે જોડાવા અને તેમનો વિશ્વાસ મેળવવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ.