ગુજરાતમાં વિકાસના નામે રાજ્ય સરકાર દેવું કરે છે અને બજાર લોન પણ લેતી હોય છે. ભારતીય રીઝર્વ બેન્ક સરકારના બેન્કર તરીકેનું કામ કરે છે. રાજ્ય સરકારે નક્કી કરેલી મર્યાદામાં છેલ્લા બે વર્ષમાં 76054 કરોડની બજાર લોન લીધી છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2021-22ના વર્ષમાં રાજ્ય સરકારે 31054 કરોડની બજાર લોન બે થી 10 વર્ષની મુદ્દત માટે લીધી હતી જેમાં લોનનો વ્યાજદર 5.27 ટકાથી 7.29 ટકા છે, જ્યારે 2022-23માં સરકારે બે થી 13 વર્ષ માટે 45000 કરોડની બજાર લોન લીધી હતી અને તેમાં 7.35 ટકાથી 7.82 ટકાનો વ્યાજદર છે. મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામો અને બીજી જરૂરિયાતો હોવાથી કાયદા અનુસાર નક્કી કરેલી મર્યાદામાં દેવું કરી રાજ્યના વિકાસદરમાં વૃદ્ધિ કરવા બજાર લોન લેવામાં આવે છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જરૂરિયાત પ્રમાણે બજાર લોન ઓક્શન પ્રક્રિયા મારફતે રાજ્ય સરકારને મેળવી આપે છે.
કેન્દ્ર સરકાર પાસેથી વેરા પૈકી લેવાની થતી રકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર પાસેથી જીએસટી વળતર પેટે 1672.35 કરોડ લેવાના બાકી નીકળે છે. આ રકમ માટે એકાઉન્ટન્ટ જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, રાજ્યના નાણાં વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલયને જણાવવામાં આવ્યું છે.