કર્ણાટક સરકારે હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ (સુધારા) બિલ વિધાનસભામાં પસાર કર્યું હતું, પરંતુ વિધાન પરિષદમાં આ બિલને ફગાવી દેવામાં આવ્યું હતું. આ સંશોધિત વિધેયકમાં કહેવામાં આવ્યું હતું કે જે મંદિરોની આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેમની આવક પર સરકાર 10 ટકા ટેક્સ વસૂલશે. વિપક્ષી પાર્ટી ભાજપ સિદ્ધારમૈયા સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
વિધાનસભામાં પસાર થવા છતાં, હિંદુ ધાર્મિક બિલને વિધાન પરિષદમાં વિરોધનો સામનો કરવો પડ્યો. એન્ડોવમેન્ટ્સ વિભાગના પ્રધાન રામલિંગા રેડ્ડીએ કાઉન્સિલમાં બિલ રજૂ કર્યું, ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ચર્ચા થઈ. આખરે ડેપ્યુટી ચેરમેન પ્રણેશને ધ્વનિ મતથી મતદાન કરાવ્યું હતું. રાજ્યના ઉપલા ગૃહમાં ભાજપ અને જેડીએસ બહુમતીમાં છે. આ બિલ પર નિર્ણય લેવા માટે વોઈસ વોટ યોજવામાં આવ્યો હતો અને તેની તરફેણમાં માત્ર 7 વોટ પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં 18 વોટ પડ્યા હતા. કર્ણાટક વિધાન પરિષદમાં ભાજપ પાસે 34, કોંગ્રેસ પાસે 28 અને જનતા દળ સેક્યુલર પાસે આઠ સભ્યો છે.
ભાજપે આક્ષેપ કર્યો હતો કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને તેમાં હિંસા, છેતરપિંડી અને ભંડોળનો દુરુપયોગ સામેલ છે. જો કે, રાજ્ય સરકારે તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે 10 ટકા પૈસા માત્ર 1 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા મંદિરો પાસેથી લેવામાં આવશે. સરકારે દાવો કર્યો હતો કે એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ “ધાર્મિક પરિષદ” હેતુઓ માટે કરવામાં આવશે, પૂજારીઓની આર્થિક સ્થિતિ સુધારવા અને C-ગ્રેડ મંદિરો અથવા ખૂબ જ નબળી સ્થિતિમાં હોય તેવા ધાર્મિક સ્થળોમાં સુધારો કરવામાં અને મંદિરના પૂજારીઓના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. .