મંગળવારે (27 ફેબ્રુઆરી) ખેડૂતોના આંદોલનનો 15મો દિવસ છે. 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ ટાળ્યા બાદ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર રોકાયેલા છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મઝદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) આજે રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજશે. જેમાં દિલ્હી કૂચ અંગે ચર્ચા કરવામાં આવશે. દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય 28 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
કિસાન મજદૂર મોરચાના સરવન પંઢેરે કહ્યું કે કેન્દ્ર અને પંજાબના કેટલાક અધિકારીઓ કહી રહ્યા છે કે હરિયાણા પોલીસ વિરુદ્ધ એફઆઈઆરને લઈને કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેની વાતચીત બની નથી. પરંતુ, એવું નથી. કોન્ટ્રાક્ટ આધારિત ખેતીના પ્રસ્તાવને કારણે કોઈ ઉકેલ આવ્યો નથી, અમે MSP ગેરંટી કાયદાની માંગ કરી રહ્યા છીએ. આ કારણોસર વાતચીતમાં અડચણો ઉભી થઈ છે.
પંઢેરે કહ્યું કે ભૂતકાળમાં તેમના આંદોલનને સમગ્ર દેશમાં સમર્થન મળ્યું છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસીઓએ ખેડૂતોને સમર્થન આપ્યું. અગાઉ 26 ફેબ્રુઆરીએ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢી હતી. આંદોલનકારી સંગઠનોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પૂતળા સળગાવ્યા હતા.