ચાંદખેડા આબુગીરી સોસાયટીમાં રહેતા જોડિયા ભાઈ પૈકી એકનું સોસાયટીમાં રહેતો એક યુવાન અપહરણ કરીને લઈ ગયો હતો. લગભગ 63 કલાક બાદ અપહત યુવાનની લાશ કડી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. જો કે અપહરણની જાહેરાત થતા જ અપહરણકર્તા યુવાનના પરિવારના સભ્યો પણ ઘરને તાળું મારીને ભાગી જતા પોલીસ હજુ સુધી હત્યાનું કારણ જાણી શકી નથી. ચાંદખેડા રેલ્વે સ્ટેશનની પાછળ આવેલી આબુગીરી સોસાયટીમાં કૌશિક સુથાર પત્ની હેતલબહેન, જોડિયા દીકરા મોહિત અને મિલન અને માતા – પિતા સાથે રહેતા હતા.
29 ફેબ્રુઆરીએ રાતે 8 વાગ્યે મિલન પૂજાપાઠ કરીને ઘરની બહાર ગયો હતો. 9.30 વાગ્યા સુધી મિલન ઘરે નહીં આવતા જમવાનો સમય થઈ ગયો હોવાથી મોહિત અને કૌશિકે મિલનને શોધવા સોસાયટીમાં નીકળ્યા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું હતંુ કે તેમની જ સોસાયટીમાં રહેતો મિત રબારી મિલનને ક્યાંક લઈ ગયો હતો. જેથી તેઓ મિતના ઘરે ગયા હતા અને તેના પિતા જયરામભાઈને પૂછતાં તેમણે કહ્યું હતું કે મિત પણ ઘરે નથી. જેથી કૌશિકભાઈ અને મોહિતે આખી રાત મિલનની શોધખોળ કરી હતી.
પરંતુ બીજા દિવસે સવાર સુધી તે નહીં મળતા કૌશિકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે મિત પણ ઘરે પાછો આવ્યો નહીં હોવાથી કૌશિકે મિત વિરુધ્ધ મિલનના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. એ સાથે મિતના પરિવારના સભ્યો પણ ઘરને તાળુ મારીને ભાગી ગયા હતા. 63 કલાક બાદ કડી નર્મદા કેનાલમાંથી મિલનની લાશ મળી આવી હતી. મિલનને પીઠ અને માથાના ભાગે ઈજાના નિશાન હતા. આ અંગે ચાંદખેડા પોલીસે મિલનનો મૃતદેહ લઈ આવી હતી અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસનું કહેવુ છે કે મિલનનું અપહરણ કરી લઈ ગયેલા મિત રબારી કે તેના પરિવારના સભ્યોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. જેથી મિતે શા માટે મિલનની હત્યા કરી તે જાણી શકાયુ નથી. પરંતુ સોસાયટીના સભ્યો પાસેથી પોલીસને જાણવા મળ્યું કે, મિતની બહેનને આવતા જતા મિલન હેરાન કરતો હતો. અગાઉ મિતે આ બાબતે મિલનને ઠપકો આપ્યો હતો. જેથી કદાચ તે મુદ્દે મિતે મિલનની હત્યા કરી હોવાની શંકા છે.