દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આઠ વખત સમન્સ મોકલ્યું હતું, તેમણે આજે હાજર થવા કહ્યું હતું. જોકે, કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે સમન્સ ગેરકાયદેસર છે પરંતુ છતા પણ તે જવાબ આપવા માટે તૈયાર છે. અરવિંદ કેજરીવાલે તપાસ એજન્સીને 12 માર્ચ પછીની તારીખ માંગી છે, તે બાદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં સામેલ થશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે. દિલ્હીની આપ સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી લિકર પોલીસી કેજરીવાલ સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ છે. લિકર નીતિને લઇને આરોપ છે કે તેનાથી કેટલાક ખાસ લોકોને લાભ મળ્યો છે, તે બાદ આમ આદમી પાર્ટીની સરકારે આ નીતિને પરત લઇ લીધી હતી. નવી લિકર નીતિ વિરૂદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર લેવડ દેવડને લઇને CBI અને EDએ કેસ નોંધ્યો છે.
આ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને કેટલાક અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED સાત વખત સમન્સ પાઠવી ચુકી છે પરંતુ સાતે વખત કેજરીવાલ તપાસ એજન્સી સામે હાજર તયા નથી. કેજરીવાલ ભાજપ પર ચૂંટણી પહેલા તપાસ એજન્સી ED દ્વારા તેમણે પ્રચાર કરતા રોકવાનો પ્રયાસનો આરોપ લગાવતા રહ્યાં છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડ બાદ ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને જોડી તોડીને દિલ્હીમાં નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ભાજપે કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.