આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે. આ સાથે જ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી. હવે મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરાશે.
રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓ જોડાયા હતા. બારડોલીમાં સભા રદ કરી રાહુલ ગાંધી વ્યારા પહોંચ્યા હતા. જ્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં લોકોને સંબોધ્યા હતા.રાહુલ ગાંધીએ વ્યારામાં ખુલ્લી જીપમાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે ભારતની 50 ટકા વસ્તી જેટલા પૈસા છે. સરકારે દેશના તમામ સેક્ટરને આ 22 લોકોને વેચી માર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિને પૈસા મળી રહ્યા છે. વ્યારામાં રાહુલે અદાણી અને રિલાયન્સ પર નિશાન સાધ્યું હતું. તેમજ જનજાતિ ગણના અને આર્થિક સર્વેની માગ કરી હતી.