લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન જોરશોરથી પ્રચારમાં લાગેલા PM મોદી આજે એટલે કે 6 એપ્રિલે તેઓ ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. મહત્વનું છે કે, એક અઠવાડિયામાં PM મોદીની આ બીજી UP મુલાકાત છે. PM મોદી સૌપ્રથમ સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ સાંજે ગાઝિયાબાદ જશે અને રોડ શો કરશે.
BJPના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાના જણાવ્યા અનુસાર PM મોદી સવારે સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ રેલી સહારનપુર સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલ અને કૈરાના સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થનમાં યોજવામાં આવી છે જેમાં PM મોદી ભાગ લઈ રહ્યા છે. તેમના સંબોધન પછી સાંજે લગભગ 4 વાગે PM મોદીગાઝિયાબાદ પહોંચશે. ત્યાં PM મોદી ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગના સમર્થનમાં માલીવાડા ચોકથી આંબેડકર રોડ થઈને ચૌધરી રોડ ગાઝિયાબાદ સુધી આયોજિત રોડ શોમાં ભાગ લેશે.
માનવામાં આવે છે કે આ મુલાકાત દ્વારા PM મોદી પશ્ચિમ યુપીના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આ પહેલા PM મોદી મેરઠ ગયા હતા જ્યાં તેમણે એક મોટી રેલીને સંબોધિત કરી હતી. મેરઠ બાદ યુપીમાં PM મોદીની આ બીજી સૌથી મોટી રેલી માનવામાં આવે છે. આ રેલીમાં PM મોદી ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે.