શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ઘણા વિવાદ થતા હોય છે પણ લંડનની હાઈકોર્ટે આ મુદ્દે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ કરેલી શાળામાં નમાજ પઢવાની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોઈ પણ રીતિ રિવાજ કે ધાર્મિક સ્વતંત્રતા શાળાના નિયમોથી ઉપર નથી.
લંડનના વેમ્બલીમાં મિશેલા સ્કુલના નિયમો સામે એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ કોર્ટમાં અરજી કરી હતી. તેની દલીલ હતી કે, શાળામાં તેના ધર્મની પ્રાર્થના કરવા પ્રતિબંધ છે અને તેની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરાય છે. તેના જવાબમાં સરકારી શાળા મિશેલાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ‘મુસ્લિમ વિદ્યાર્થીનીને નમાજ પઢવાની મંજુરી આપવાથી વિદ્યાર્થીઓમાં સમાવેશી દ્રષ્ટિકોણ નબળો પડવાનું જોખમ છે.’
અરજીને ફગાવતા 83 પાનાના ચુકાદામાં જજ થોમસ લિંડેને જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીનીએ શાળામાં પ્રવેશ લીધો ત્યારે તેણે તમામ નિયમો સ્વીકાર્યા હતા. જેમાં એવું પણ જણાવાયું હતું કે, તેને ધર્મને આધારે કોઈ પ્રકારની છુટછાટ આપવામાં નહીં આવે.’ વિદ્યાર્થીનીએ આરોપ મૂકયો હતો કે, ‘શાળાના પ્રતિબંધને કારણે તેના ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ એક પ્રકારનો ભેદભાવ છે, જે ધાર્મિક લઘુમતી સમાજને અલગ હોવાનો અહેસાસ કરાવે છે. જો કે, કોર્ટે તેની દલીલને ફગાવી દીધી હતી. શાળાના સ્થાપક અને પ્રિન્સીપાલ કેથરીન બીરબલસિંહે જણાવ્યું હતું કે, ‘આ ચુકાદો દરેક શાળાની જીત છે.