સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એક પુરુષનો મૃતદેહ ઓલપાડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પતિ-પત્ની અને તેમનો અઢી વર્ષના પુત્રનું મોત થયું છે. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો. ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની છે. જો કે, હાલ આપઘાત છે કે, અકસ્માત તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનું નામ 24 વર્ષીય ખુર્શીદા વસીમ પટેલ છે. તેના અઢી વર્ષના દીકરાનું નામ મોઈત પટેલ છે. જ્યારે ઓલપાડ નજીકથી મૃતક મહિલાના પતિનું નામ વસીમ પટેલ છે. આ પરિવાર બાઈક પર ભરૂચ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જો કે, આ પરિવાર સાથે રસ્તામાં વચ્ચે કોઈ ઘટના બની અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. અમરોલી વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે મૈયતમાં સામેલ થવા વસીમ પટેલ અને તેનો પરિવાર આવ્યો હતો. આજે સવારે પાંચ વાગ્યે ભરૂચ જવા માટે આખો પરિવાર ઘરેથી નીકળ્યો હતો. હાલ તો જે બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા તે મળી આવી નથી.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પરિવારમાં કોઈપણ પ્રકારનો તણાવ ન હતો. જેથી આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. વસીમ પટેલનો મૃતદેહ ઓલપાડ પોલીસને મળ્યો છે. જેથી આ મામલે તપાસ ઓલપાડ પોલીસ કરશે. જ્યારે ખુરશીદા અને તેના પુત્રના મૃતદેહની તપાસ જહાંગીરપુરા પોલીસ કરશે.