રાજસ્થાનના જયપુરમાં એક દગાબાજ પત્નીએ UPSCમાં પાસ થવા માટે પોતાના પતિને છેતર્યો છે. આ દગાબાજે UPSCમાં પાસ થવા માટે ગજબની યુક્તિ અજમાવી. પહેલા તેણે લગ્ન કર્યા, પછી તેણે છૂટાછેડા માંગ્યા. તેણે આ એટલા માટે કર્યું કારણ કે તેને UPSCમાં છૂટાછેડા ક્વોટાનો લાભ મળે. પોતાનું કેરિયર બનાવવા માટે ભાન ભૂલેલી યુવતી એક નિર્દોષ યુવક સાથે લગ્નની રમત રમી. પતિએ ડિવોર્સ આપવાની ના પાડી તો તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. આખરે કંટાળી નારાજ પતિએ જયપુરમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતી પ્રતાપગઢની રહેવાસી છે.
પોલીસે કહ્યું- કાલવાડ રોડના રહેવાસી રવિ (નામ બદલ્યું છે)એ 11 મેના રોજ રિપોર્ટ નોંધાવ્યો છે. તેણે કહ્યું- તે ફોટોગ્રાફર છે. ડિસેમ્બર 2013માં ફોટોગ્રાફી માટે પ્રતાપગઢ ગયો હતો. ત્યાં તેની મુલાકાત નીતુ (નામ બદલ્યું છે) સાથે થઈ હતી. વર્ષ 2016માં નીતુ કોલેજના અભ્યાસ માટે જયપુર આવી હતી. અહીં નીતુ સતત તેના સંપર્કમાં રહી. નીતુનો ખર્ચ ઉઠાવવાની સાથે તેણે તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવી. યુપીએસસી પરીક્ષાની તૈયારી દરમિયાન બંને વૈશાલી નગરમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા.
વર્ષ 2021માં પરિવારની સહમતિથી પ્રતાપગઢમાં નીતુ અને તેની સગાઈ થઈ. સપ્ટેમ્બર 2022માં નીતુને ટ્રાઇબલ સબ પ્લાન (TSP) ક્વોટા હેઠળ સરકારી નોકરી મળી. નોકરી મળ્યા પછી પણ નીતુએ કહ્યું કે તે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરશે. લગ્ન વિશે પૂછવામાં આવતા નીતુએ ના પાડી દીધી હતી. તે પછી તેણે ફોન કર્યો અને કહ્યું- જો તમે મને યુપીએસસી પરીક્ષાની તૈયારીમાં સાથ આપશો તો હું લગ્ન કરવા તૈયાર છું.
લગ્નની તૈયારીઓ દરમિયાન રવિએ નીતુની પસંદગી મુજબની જરૂરિયાતની બધી વસ્તુઓ અપાવી. ફેબ્રુઆરી 2023માં બંનેએ પ્રતાપગઢમાં હિન્દુ ધર્મના રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પછી બીજા દિવસે તે નીતુ સાથે જયપુર આવ્યો હતો. તેના સાસરિયાંમાં લગ્નની વિધિ પૂરી થતાં જ નીતુએ તેની પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી.
રવિએ કહ્યું- લગ્નના બીજા દિવસે નીતુએ તેની પાસેથી છૂટાછેડા માંગ્યા. નીતુએ કહ્યું- એક વર્ષ પછી પરસ્પર સહમતિથી છૂટાછેડા લઈશું. તેને UPSC પરીક્ષામાં છૂટાછેડાના ક્વોટામાં લાભ મળશે. તમે UPSC પરીક્ષા પાસ કરવા માટે તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે તેણે જવાબ ન આપ્યો, તો નીતુ 3 દિવસ પછી પ્રતાપગઢ પાછી જતી રહી.
લગ્નના દોઢ મહિના પછી નીતુએ તેની સાથે મોબાઈલ પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. મોબાઈલ પર વાત કરતી વખતે નીતુ છૂટાછેડા વિશે પૂછવા લાગી. લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર રવિ એનિવર્સરીની ઉજવણી કરવા પ્રતાપગઢ પહોંચ્યો હતો. છૂટાછેડા માટે સહમત થયા પછી જ નીતુએ એનિવર્સરીની ઉજવણી કરવાની વાત કરી. છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે પોલીસને બોલાવી ખોટા કેસમાં જેલમાં મોકલવાની ધમકી આપી. છેતરપિંડીનો અહેસાસ થતાં રવિએ કરધણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.