દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. સ્વાતિએ ગુરુવારે સાંજે દિલ્હી પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. હવે દિલ્હી પોલીસની ટીમે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની શોધ શરૂ કરી છે. વિભવ કુમાર પર સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે.
દિલ્હી પોલીસની એક ડઝન ટીમ વિભવ કુમારને શોધી રહી છે. વિશેષ સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને ઈન્ટેલિજન્સ યુનિટની ટીમો પણ વિભવ કુમારને શોધી રહી છે. સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે દિલ્હી પોલીસને 7 પાનાની ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે કેવી રીતે વિભવ કુમારે તેની સાથે મારપીટ કરી હતી.
સ્વાતિ પર હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ઘરની અંદર હાજર હતા. તેથી દિલ્હી પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસ સીએમ આવાસ પર હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન પણ રેકોર્ડ કરશે. દિલ્હી પોલીસ સીએમ આવાસની અંદર લાગેલા સીસીટીવી પણ ચેક કરશે. સ્વાતિ માલીવાલના આરોપો બાદ અરવિંદ કેજરીવાલે મૌન જાળવી રાખ્યું છે.
રાત્રે 3 વાગ્યા સુધી સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ ચાલી
આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલવિલને ગુરુવારે રાત્રે 11 વાગ્યે ગેરવર્તણૂક અને હુમલાના કેસમાં તબીબી સારવાર માટે દિલ્હીની AIIMSમાં લાવવામાં આવ્યા હતા. દિલ્હીની AIIMSમાં રાત્રે 3 વાગ્યા સુધી માલીવાલનું મેડિકલ ચેકઅપ ચાલ્યું હતું. સ્વાતિ માલીવાલના મેડિકલ દરમિયાન તેમની સાથે એડિશનલ ડીસીપી રેન્કની એક મહિલા અધિકારી પણ હાજર હતા.