હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. આ દૂર્ઘટના નૂંહ જિલ્લાના તાવડુ પાસેથી પસાર થતા માનેસર-પલવ એક્સપ્રેસ વે પર બની હતી. આ દરમિયાન બસમાં 60 લોકો સવાર હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ દૂર્ઘટના મોડી રાત્રે 1.30 વાગ્યે બની હતી. મહત્ત્વપૂર્ણ છે કે બસમાં સવાર મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળ્યા હતા, જે મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરતા હતા. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી પણ આ પહેલા જ સ્થાનિક લોકોએ આવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દૂર્ઘટનાનો શિકાર લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હતા, જે મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરતા હતા.
ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલા ગ્રામીણોએ જણાવ્યું કે મોડી રાત્રે 1.30 વાગ્યે એક ચાલતી બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તે બાદ તેમને અવાજ મારીને ચાલકને બસને રોકવા માટે કહ્યું હતું પરંતુ બસ રોકાઇ ન હતી. એક યુવકે બાઇક લઇને બસનો પીછો કર્યો હતો અને ચાલકને આગ લાગવાની જાણ કરી હતી. તે બાદ બસને રોકવામાં આવી હતી પરંતુ ત્યાર સુધી બસમાં આગ વધી ગઇ હતી. ગ્રામજનોએ પોતાના સ્તરે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ પોલીસને પણ ઘટનાની જાણ કરી હતી.