દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કેજરીવાલે પોતાના વચગાળાના જામીન દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે PET-CT સ્કેનની સાથે કેટલાક બીજા ટેસ્ટ પણ કરાવવા પડશે. મેડિકલ તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર નીતિ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં રાહત આપી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત ગેરરીતી સંબંધિત મની લૉન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપતા કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઉદારવાદી દ્રષ્ટિકોણ યોગ્ય છે, તેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી. તે સમાજ માટે ખતરો નથી, તેમના પર ગંભીર આરોપ જરૂર છે પણ તે હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. કોર્ટે કેજરીવાલને આદેશ આપ્યો હતો કે તે કોઇ પણ સાક્ષી સાથે વાત નહીં કરે.