રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકાર બન્નેને ફટકાર લગાવી હતી. રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી યોજાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘુમ થઇ હતી અને ઉધડો લેતા કહ્યું હતું કે,’અમને સરકાર કે તંત્ર પર હવે જરાય વિશ્વાસ નથી.’ વધુમાં કોર્ટે કહ્યું કે આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ.
ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. હાઇકોર્ટે કહ્યું કે તમે આંધળા થઇ ગયા હતા, અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું તો તમે શું ઉંગતા હતા? રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દરમિયાન આરોપીઓની મિલકત ટાંચમાં લેવા આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓની મિલકત વેચી મૃતકોના પરિવજનોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે સુઓમોટો પર સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકાર વતી બન્ને એડિશનલ એડવોકેટ જનરલ હાજર રહ્યાં હતા. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે GDCRના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ગેમઝોનમાં કોઇ પણ પ્રકારની મંજૂરી લીધી નહતી. 24 કે તેનાથી વધુ લોકો મર્યા છે તે હત્યાથી ઓછું નથી. આ સાથે જ અરજદારે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરી હતી. અરજદારે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ભરૂચમાં આગ, રાજકોટ આગ, સુરત અમદાવાદ અને અનેક જગ્યાએ આગ લાગે છે જેમાં અનેક લોક મરી રહ્યાં છે. તંત્ર રકમ વસૂલ કરે છે પણ શેના માટે કરે છે?