લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ભલે બહુમતી મળી ન હતો પણ પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળને હરાવીને નવીન પટનાયકના 24 વર્ષ જૂના કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો છે. નવીન પટનાયકે બુધવારે રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ પછી રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની અટકળો વચ્ચે, રાજ્ય ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે જણાવ્યું હતું કે પક્ષનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.
આ કહ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એક ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્યમંત્રી હશે.’
ઓડિશામાં રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે ઉત્તેજના છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી અને બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.